જામનગરમાં ત્રણ દિવસ પછી એન.ડી.આર.એફ.ના જવાનો અને ફાયરબ્રિગેડની સતત શોધખોળ પછી બાળકી નો મૃતદેહ સાંપડ્યો
રિપોર્ટ: જગત રાવલ, જામનગર
જામનગરના ગાંધીનગર સ્મશાન નજીક ત્રણ દિવસ પહેલા ભારે વરસાદના કારણે નદીના ધસમસતા પ્રવાહમાં બે વર્ષની એક બાળકી તણાઈ ગઈ હતી, અને ફાયરબ્રિગેડ દ્વારા ત્રણ દિવસથી શોધખોળ ચાલી રહી હતી, તે દરમિયાન આજે ફાયર ની સાથે એન.ડી.આર.એફ.ની ટીમ પણ જોડાઇ હતી. અને દરિયાઈ ખાડી વિસ્તારમાં શોધખોળ ચલાવવામાં આવી હતી દરમિયાન આજે સવારે દરિયાઈ ખાડીમાં દોઢ કિ.મી દૂરથી બાળકીનો મૃતદેહ મળ્યો છે. અને બેડી મરીન પોલીસે કબજે કરી લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગેની વિગત એવી છે કે જામનગરના ગાંધીનગર નજીક પુનિત નગર વિસ્તાર ના પાછળના ભાગમાં રહેતા ભાવેશ ભાઈ સોલંકી ની બે વર્ષની પુત્રી રાધિકા કેજે આજથી ત્રણ દિવસ પહેલા સોમવારે પડેલા ભારે વરસાદના કારણે નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી. રાધિકા ની માતા રસ્તો ઓળંગી રહી હતી જે દરમિયાન તેના હાથમાંથી બાળકી છટકીને પ્રવાહમાં તણાઇ ગઇ હતી.આ બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડી દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ ત્રણ દિવસ દરમિયાન બાળકનો પત્તો નહીં મળતાં આજે એનડીઆરએફની ટીમ પણ શોધખોળ માટે જોડાઈ હતી.
એનડીઆરએફની ટીમ ના દસ સભ્યો અને ફાયરબ્રિગેડના પાંચ જવાનો વગેરે દ્વારા આજે સવારથી જ ગાંધીનગર સ્મશાન પાછળના ભાગમાં આવેલી દરિયાઈ ખાડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ. હાલ દરિયાઈ ખાડી પર થી પાણી ઉતરી ગયું હોવાથી ગારા કિચન ખૂંદીને બાળકીના શોધવાનો પ્રયત્ન કરાયો હતો. દરમિયાન દોઢ કિલોમીટર દરિયા ની ખાડીમાં બાળકીનો મૃતદેહ હાથ લાગ્યો હતો. જેથી ફાયરની ટીમે મૃત બાળકનો કબજો સંભાળી બેડી મરીન પોલીસ સ્ટેશનને સુપરત કરી દીધો છે, અને બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન બાળકીના માતા-પિતા પણ હાજર રહ્યા હતા, અને બન્નેએ મૃત બાળકી ને જોઈને હૈયાફાટ રૃદન કર્યું હતું.