નાના વ્યવસાયકારોને ફળદાયી બનતા સરકારના પરિણામલક્ષી નિર્ણયો
જિજ્ઞાબેન દવેના બ્યુટીપાર્લરના વ્યવસાયને નિખારતી “આત્મનિર્ભર યોજના“
અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ
રાજકોટ, ૧૦ નવેમ્બર: રાજ્યના દરેક નાગરિકની ચિંતા કરતી સંવેદનશીલ રાજ્ય સરકાર તેમના કલ્યાણર્થે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી કરી રહી છે. કોરોના જેવી ગંભીર મહામારીમાં પણ રાજ્ય સરકાર આર્થિક-સામાજિક રીતે જનતાની પડખે ઉભી રહી છે. અનલોક બાદ ગુજરાતના આર્થિક વિકાસની ગાડીને ફરીથી વેગવાન બનાવવા માટે સરકારે અનેક મહત્વના નિર્ણયો લીધા છે. જેમાંનો એક નિર્ણય એટલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા શરૂ કરાયેલી આત્મનિર્ભર યોજના.
આત્મનિર્ભર યોજનાને કારણે આજે અનેક નાના વ્યવસાયકારોના મંદ થયેલા વ્યવસાયો ફરી બેઠા થયા છે. આત્મનિર્ભર યોજનાનો લાભ લઈને ઘર અને ઘંઘાને સમતુલાથી ચલાવતી મહિલાઓ પણ અનલોક બાદ ફરીથી એ જ જોમ-જુસ્સા સાથે વ્યવસાય કરી રહી છે. આવા જ એક મહિલા છે જિજ્ઞાબેન દવે.
વ્યવસાયે બ્યુટીપાર્લર ચલાવતા જિજ્ઞાબેન દવેએ રૂા. ૧ લાખની લોન મેળવીને સાવચેતીના દરેક પગલાઓનું ધ્યાન રાખીને મહિલાઓની સુંદરતા નિખારી રહ્યા છે. આત્મનિર્ભર યોજનાથી થયેલી આર્થિક મદદ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, “ધંધાને સરળ રીતે ચલાવવા માટે પુરતા નાંણા હોવા જરૂરી છે. નાંણા હશે તો ધંધામાં જરૂરી એવી બધી સામગ્રી લઈ શકીશું. રૂા. ૧ લાખની સહાય મળવાથી મેં પાર્લર માટે જરૂરી તમામ સાધન-સામગ્રી જથ્થા બંધ લીધી. ગ્રાહકોની સલામતી માટે યુઝ એન્ડ થ્રો કરી શકાય તેવા હેન્ડગ્લોવ્ઝ, માસ્ક અને એપ્રોનની ખરીદી કરી છે.”
સરકારની આ યોજના નાના ધંધાર્થીઓ માટે ઘણી લાભકારી બની રહી છે. આજે આત્મનિર્ભર યોજનાને કારણે નાણાકીય બાબતમાં નિશ્ચિત થઈને મારું પાર્લર ચલાવી રહી છું તેમ જિજ્ઞાબેનએ જણાવ્યું હતું. આમ સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની આત્મનિર્ભર યોજના અન્વયે આર્થિક સહાય કરવાની યોજના નાના વ્યવસાયકારો માટે ફળદાયી બનીને તેમના ધંધાને નવું બળ પૂરૂં પાડી રહ્યા છે