મધર ટેરેસા બનીને બાળકો અને વડીલોની સેવા કરી રહી છે નર્સ બહેનો
રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર
અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ
નર્સ બહેનોના અસીમ પ્રેમ અને સારવારથી કોરોનાને હરાવતો ૮ વર્ષીય હર્ષ
હર્ષ બેટા, તને લીબું સરબત આપું ?
ના નર્સ દીદી મને પહેલા તમારી સાથે ગેમ્સ રમવી છે, પછી હું લીબું સરબત પી લઈશ.
અરે પાકું બેટા ! પણ પહેલા જો હું બીજા લોકોને તપાસીને આવું પછી તારી સાથે ગેમ્સ રમીશ. પણ ત્યાં સુધીમાં તું આ ફ્રુટ અને લીબું સરબત ફટાફટ ફિનિસ કરી જા જે. પ્રોમિસ ???
હા, નર્સ દીદી પ્રોમિસ…..
“હર્ષ અને કોવીડ-૧૯ હોસ્પિટલના નર્સ બહેન સાથેનો આ સંવાદ જ્યારે હર્ષના માતુશ્રી વિરાજબેનએ રૂમની બહારથી જોયો ત્યારે તેમની આંખોમાં હર્ષાશ્રુ આવી ગયા.
હજુ થોડા સમય પહેલાની આ ઘટના છે. રાજકોટમાં રહેતા જૈન પરિવારના ૮ વર્ષના લાડકવાયા દિકરા હર્ષને કોરોના પોઝીટીવ આવ્યો. દિકરાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. સિવિલ હોસ્પિટલના આરોગ્યકર્મીઓ દ્વારા હર્ષની કરવામાં આવેલ સ્નેહ સભર સારવારને ગળગળા સ્વરે વર્ણાવતાં હર્ષના માતા કહે છે કે, મે જોયું છે કે, સિવિલના નર્સ બહેન સાક્ષાત મધર ટેરેસા બનીને મારા હર્ષનું ઘ્યાન રાખી રહ્યા છે. કોરોનાથી સંક્રમિત થયેલ મારો ૮ વર્ષીય હર્ષ પણ નર્સ બહેન દ્વારા મળતી હુંફથી ઝડપથી સાજો થઈ રહ્યો હતો. એક મા તરીકેની સંપૂર્ણ જવાબદારી તેઓ નિભાવી રહ્યા હતા. કોરોનાની સામાન્ય અસર મને પણ હતી એટલે હર્ષના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે મારે થોડું અંતર જાળવવું પડતું હતું. પરંતુ કોઈપણ પ્રકારના અણગમા કે ડર રાખ્યા વગર પી.પી.ઈ.કીટ પહેરીને ફરજ નિભાવતા નર્સ બહેના વ્હાલના દરિયાએ મને તરબોળ કરી દીઘી હતી.
ઓગસ્ટના મહિનાના અંતમાં હું, મારા પતિ અને મારો ૮ વર્ષીય પુત્ર હર્ષ કોરોનાથી સંક્રમિત થયાં હતા. હું ને મારા પતિ તો પહેલા ગભરાઈ ગયા હતા. શું કરીશું ? ક્યાં સારવાર લેશું ? હર્ષને યોગ્ય સારવાર મળી રહે બસ, આવા અનેક વિચારોનું યુધ્ધ અમારા મનમાં ચાલી રહ્યું હતું. અંતે સરકાર અને તેની કામગીરી પર વિશ્વાસ રાખીને અમે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાનું નક્કી કર્યું. ઉપરથી મધ્યમ વર્ગીય પરિવાર હોવાથી લાખોના ખર્ચે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું પરવડે એવું નહોતું.
રાજકોટ કોવીડ-૧૯ હોસ્પિટલમાં પરિવારને મળેલી ઉતમોત્તમ સારવાર અંગે પોતાનો પ્રતિભાવ આપતા વિરાજબેનએ કહ્યું હતું કે, કોરોનાથી સંક્રમિત બાળકોને અલગ રૂમમાં સારવાર આપવામાં આવે છે. દિવસમાં બે કે ત્રણ વાર બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવતી હતી. સ્ટાફ દ્વારા હું હર્ષની આસપાસ રહી શકું તેવી સગવડતા કરી આપી હતી. જેવું માંગો ત્યાં બીજી મિનિટે વસ્તુઓ હાજર થઈ જતી. કોરોના સાંભળતા જ લોકોનું મોઢું નાનું અને વર્તન રૂક્ષ થઈ જતું હોય છે, પણ હર્ષની પાસે બેસીને, તેનું મન પોરવાઈ રહે તેવી વાતું કરીને, ગેમ રમાડીને અહીના આરોગ્યકર્મીઓએ આત્મીયતાસભર સારવાર કરી મારા હર્ષને બહું જલ્દી સાજો કરી દીધો છે.
પાંચ દિવસ કોવીડ હોસ્પિટલમાંથી સારવાર લીધા બાદ સમરસ હોસ્ટેલમાં રિફર કરવામાં આવ્યા ત્યાં પણ ખુબ સારો અનુભવ રહ્યો છે. દર્દીને ૨૪ કલાક હુંફાળું પાણી મળી રહે તે માટે મોટા જગ ભરીને ગરમ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વચ્છતા તો ઉડીને આંખે વળગે તેવી. એટલી પારિવારીક ભાવના કે ક્યારેક કોઈ દર્દીએ જમ્યું ન હોય તો તમે હળદરવાળું દૂધ અને ગ્લુકોઝના પાણી પી લો તેવી પૃચ્છા કરીને દરકાર લેવામાં આવે છે. તેમ જણાવતાં વિરાજબેન વધુમાં ઉમેરે છે કે, કોરોનાથી લોકોને રક્ષિત કરવા, આર્થિક રીતે ફરી પગભર કરવા અને રાજ્યનો દરેક નાગરિક શ્રેષ્ઠ જીવન વ્યતિત કરે તે માટે રાજ્ય સરકાર અનેકવિધ કામો કરી રહી છે. ત્યારે આપણા સૌની ફરજ છે કે, કોરોનાથી બચવાની માર્ગદર્શિકાનું આપણે પાલન કરીએ.
આજે આ પરિવાર કોરોના મૂક્ત બની પોતાના ઘરમાં આનંદથી જીવન વ્યતિત કરી રહ્યું છે. હજુ થોડા દિવસ પહેલાના પોતાના સિવિલ હોસ્પિટલની સારવારના આ અનુભવોને વાગોળતા વિરાજબેન કહે છે કે, માત્ર હોસ્પિટલમાં જ નહી પરંતુ કોરોના મૂક્ત બન્યા બાદ અમે ઘરે પરત ફર્યા તે પછી પણ મારા હર્ષની તબિયત માટે આરોગ્ય વિભાગમાંથી દિવસમાં ત્રણ વાર ફોન આવતા કે, હર્ષને કેમ છે ? નિંદર તો આવી જાય છે ને ? જમે છે સરખું ? જેવી પૃચ્છા કરી આ આરોગ્યકર્મીઓ સાચા અર્થમાં તેમની ફરજની સાથે તેમનામાં રહેલી સંવેદનશીલતાના દર્શન કરાવી રહયાં છે. ત્યારે હું ચોક્કસ કહીશ કે, હવે આપણે પણ થોડી જવાબદારી લેવાનો સમય છે. આપણે હંમેશા માસ્ક પહેરીએ, સેનેટાઈઝર વાપરીએ, નકારાત્મક વિચારો અને વાતોથી દૂર રહીએ. જો આટલું કરીશું તો આપણે રાજકોટવાસીઓ કોરોનાને ચોક્કસ હરાવી દેશું.”