Cancer Hospital

Cancer Awareness: મહિલાઓએ સંકોચમુક્ત થઇ સ્તન(બ્રેસ્ટ), ગર્ભાશય અને અન્ય પ્રકારના કેન્સરની ચકાસણી માટે થતા ટેસ્ટ નિયમિત કરાવવા જોઇએ: ડૉ. પરિસીમા દવે

સિવિલ મેડિસીટીમાં આવેલ કેન્સર હોસ્પિટલ દ્વારા સમગ્ર રાજ્યમાં Cancer Awareness જનજાગૃતિ માટે વિવિધ કામગીરી હાથ ધરવામા આવે છે

Cancer Awareness મહિલાઓએ સંકોચમુક્ત થઇ સ્તન(બ્રેસ્ટ), ગર્ભાશય અને અન્ય પ્રકારના કેન્સરની ચકાસણી માટે થતા ટેસ્ટ નિયમિત કરાવવા જોઇએ: ડૉ. પરિસીમા દવે

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ

અમદાવાદ, ૦૩ ફેબ્રુઆરી: Cancer Awareness કેન્સર એટલે શું…. કેન્સરને કંઇ રીતે અટકાવી શકાય…. આ તમામ પ્રકારના મુંઝવતા પ્રશ્નોના ઉત્તર આપવા માટે સિવિલ મેડિસીટીની ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ (જી.સી.આર.આઇ.) દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી કેન્સરની જનજાગૃતિ માટે કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા ૬ વર્ષની કામગીરી વિશેનો ચિતાર આપતા કેન્સર હોસ્પિટલના નાયબ નિયામક ડૉ. પરિસીમાં દવે કહે છે કે, “કેન્સર હોસ્પિટલ દ્વારા સમગ્ર રાજ્યમાં જનજાગૃતિના બહોળા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ સુધીમાં સમગ્ર રાજ્યમાં વિવિધ ગામડાઓ, શહેરોમાં ૭૪ જેટલા કેન્સર જાગૃતિના તથા ૬૫ કેન્સર તપાસ કેમ્પ દ્વારા ૩૬૨૯ જેટલી સ્ત્રીઓની મેમોગ્રાફી, ૧૬૦૩૯ જેટલી સ્ત્રીઓના પેપ ટેસ્ટ કરવામાં આવ્યા છે.” કેન્સરના વહેલા નિદાન માટે કરવામાં આવતા ટેસ્ટ આડઅસર રહિત છે.

સૌ પ્રથમ તો કેન્સર એટલે શું ? તે જાણવું ખૂબ જ જરૂરી છે

માનવશરીર અનેક કોષોનું બનેલું છે. કોષોના સપ્રમાણ વિભાજનથી બધા અંગોનો વિકાસ થાય છે. કેટલીક આંતરિક ખામી અને બાહ્ય પરિબળોના કારણે કોષોની વૃધ્ધિ અને વિભાજનની ક્રિયાની લય તૂટી જાય છે. આથી કોષોની કાબૂ બહારની વૃધ્ધિ શરીરમાં ગાંઠ કે ચાંદા રૂપે દેખાય છે જેને કેન્સર કહે છે.

કેન્સરના લક્ષણો
કેન્સરના સર્વસામાન્ય લક્ષણોમાં શરીરના કોઇપણ ભાગમાં લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ, સ્તનમાં ગાંઠ અથવા સ્તનની ડીંટડીમાંથી લોહી પડવુ, યોનિમાંથી દુર્ગંધવાળુ પ્રવાહી પડવું, શરીરના કોઇપણ ભાગમાં ગાંઠ હોવી, શરીરના કોઇપણ ભાગમાંથી અસામાન્યપણે લોહી પડવું જેવા લક્ષણો મોટા ભાગે જોવા મળે છે.

Whatsapp Join Banner Guj

કેન્સરની સારવાર
Cancer Awareness કેન્સરની સારવાર મુખ્યત્વે ચાર પધ્ધતિઓ દ્વારા થાય છે, જેમાં શસ્ત્રક્રિયા, વિકિરણ સારવાર(રેડિયોથેરાપી) અને દવાઓની સારવાર (કિમોથેરાપી), રાહતદાયી સંભાળ(પેલિએટિવ કેર)નો સમાવેશ થાય છે. શસ્ત્રક્રિયામાં કેન્સરગ્રસ્ત ભાગને દૂર કરવામાં આવે છે. રેડિયોથેરાપી માં કેન્સર કોષોનો વિકિરણની મદદથી નાશ કરવામાં આવે છે. કિમોથેરાપીમાં કેન્સર વિરોધી દવાઓ આપવામાં આવે છે, જ્યારે પેલિએટિવ કેરમાં કેન્સરના દુખાવા અને અન્ય તકલીફોમાં કાઉન્સેલીંગ દ્વારા માનસિક રીતે મક્કમ બનાવવાની સારવાર આપવામાં આવે છે.

Cancer Awareness

કેન્સર અટકાવવાના ઉપાયો
શરીરના મોંઢા અને ગળાના ભાગમાં થયેલા કેન્સરને અટકાવવા માટે ખાસ કરીને કોઇપણ પ્રકારનું વ્યસન ટાળવું જોઇએ, મ્હોંની સ્વચ્છતા જાળવવી તેમજ દિવસમાં બે વાર બ્રશ કરવું જોઇએ. તૂટેલા દાંત કે બરાબર બંધ ન બેસતા દાંતના ચોકઠાની દાંતના તબીબ પાસે તાત્કાલિક સારવાર કરાવવી જોઇએ બને ત્યાં સુધી દર મહિને અરીસા સામે ઉભા રહી મોંઢાની જાત તપાસ કરવી જોઇએ

આ પણ વાંચો…અંગદાન એ જ મહાદાનઃ અમદાવાદના 42 વર્ષીય બ્રેઇન મૃત્યુ પામેલા ધર્મેશભાઇ પટેલના અંગદાન(Organ donation) દ્વારા 4 લોકોનું જીવન સવાર્યું..!

ગર્ભાશયના કેન્સરને અટકાવવા માટે જાતીય સમાગમ પહેલા અને પછી, ન્હાતી વખતે તથા પેશાબ કર્યા પછી પ્રજનન અંગોની પૂરતી સ્વચ્છતા જાળવવી જોઇએ, ૩૦ વર્ષ પછી દરેક પરિણીત સ્ત્રીએ નિયમિત રીતે પેપ ટેસ્ટ કરાવવા જોઇએ. આ પેપ ટેસ્ટની કોઇ આડઅસર થતી નથી.

સ્તનના કેન્સરને અટકાવવા માટે વર્ષમાં એક વાર નિષ્ણાંત તબીબ દ્વારા સ્તનની તપાસ કરાવવી જોઇએ. ૩૫ વર્ષ પછીની ઉંમરે દરેક સ્ત્રીએ ડૉક્ટરની સલાહ પ્રમાણે મેમોગ્રાફી કરાવવી જોઇએ.