સુરેન્દ્રનગર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગરઃસુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ કોરોના મહામારીને ધ્યાને રાખી જિલ્લા શિક્ષણ સંઘ પ્રેરિત સુરેન્દ્રનગર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જિલ્લાના વઢવાણ, મુળી, લખતર અને સુરેન્દ્રનગર તાલુકાના પ્રાથમિક શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગર સ્થિત શ્રી ઝાલાવાડ લેઉઆ પાટીદાર સમાજ કેળવણી મંડળ વિદ્યાસંકુલ – વઢવાણ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના સમયે બ્લડની જરૂરીયાત હોઈ તેવા લોકોને મુશ્કેલી ન પડે તેવા હેતુસર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંધ દ્વારા આયોજીત આ બ્લડ ડોનેશન કેમ્પમાં વઢવાણ, મુળી, લખતર અને સુરેન્દ્રનગર તાલુકા ઘટકના શિક્ષકો દ્વારા ઉત્સાહભેર માનવતાના આ સેવારૂપી કાર્યમાં ભાગીદાર બની કુલ ૭૦૦ થી વધુ બ્લડ બોટલ એકત્રિત કરીવામાં આવી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જિલ્લાના તમામ તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, તાલુકા સંઘના પ્રમખશ્રી – મંત્રીશ્રી સહિત બ્લડ આપતા તમામ શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ સેવાયજ્ઞમાં તમામને પ્રોત્સાહિત કરવા સાંસદશ્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કલ્પનાબેન ધોરીયા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખશ્રી દિગ્વિંજયસિંહ જાડેજા, મહામંત્રીશ્રી સતીષભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, મિતાબેન ગઢવી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એસ.એસ.બાયડ, ડાયેટના આચાર્યશ્રી સી.ટી.ટુંડિયા, લેઉઆ પટેલ સમાજના પ્રમુખશ્રી શંકરભાઈ સુતરીયા સહિત જિલ્લાના તમામ તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, બી.આર.સી.શ્રીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખશ્રી દેવાભાઈ સભાડ, મહામંત્રીશ્રી ગંભીરસિંહ બોરાણા અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.