રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે અદ્યતન સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે

રાજકોટ : સ્ટાફની સેવાને લીધે હોસ્પિટલ મને ઘર જેવી લાગે છે રાજકોટ PDU હોસ્પિટલના દર્દી જયસુખભાઈ પટેલનો પ્રતિભાવ
અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ
રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર:રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે અદ્યતન સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે. દર્દીઓને તમામ પ્રકારની સગવડતા મળી રહે અને તે વહેલાસર સ્વસ્થ થાય તે માટે સુવિધા ઉપલબ્ધ છે.
રાજકોટ કોવિડ હોસ્પિટલમાં સારવારના અંતે રજા આપવામાં આવતા હોસ્પિટલ તંત્રનો આભાર માનતા ઉપલેટાના મુક્તાબેન લાલકીયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં મારી સારામાં સારી સારવાર કરવામાં આવી છે. ૧૨ દિવસ સુધી તબીબોએ મારી સારવાર-સેવા કરી મને ખુબ સરસ રીતે સાચવી છે. જયસુખભાઈ પટેલે કહ્યું કે, હોસ્પિટલનો સ્ટાફ મારા માટે પરિવાર છે. તેથી જ મને આ હોસ્પિટલ ઘર જેવી લાગે છે.
રાજકોટ પી.ડી.યુ. હોસ્પિટલમાં સારવાર ઉપરાંત દર્દીઓની પૂરીપૂરી કાળજી લેવામાં આવે છે. બીજા એક દર્દી જેને રજા આપવામાં આવી તે મનહરલાલ ગાઠાણીએ કહ્યું કે હોસ્પિટલનો સ્ટાફ સારો છે. હું સરકાર દ્વારા અપાયેલી સારામાં સારી સુવિધા-સારવાર બાદ રાજી થઈને ઘરે જાવ છું.

ગોંડલના પરેશભાઈ કારિયાએ કહ્યું કે, રાજકોટની કોવિડ હોસ્પિટલમાં સમયસર તબીબી તપાસ કરવામાં આવે છે. ‘‘હારશે કોરોના-જીતશે રાજકોટ’’ના સૂત્ર સાથે તેમણે કહ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ કોરોનાના દર્દી અંગેની મદદ- સારવાર-સુવિધાનું સારામાં સારા સંકલન સાથે કરવામાં આવે છે.