World Tuberculosis Day: વિશ્વ ક્ષય દિવસ“સ્ટેટ ટી.બી. આંક” માં ગુજરાત રાજ્ય અગ્રેસર

World Tuberculosis Day: દર વર્ષે સિવિલ હોસ્પિટલ સ્થિત “સ્ટેટ ટી.બી. સેન્ટર”માં ત્રીસ હજાર થી વધુ ટી.બી. સ્ટેશીમેનના ટેસ્ટ કરવામાં આવે છે
રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાયેલ CB-NAAT અને TRUENAT મશીન દ્વારા ટેસ્ટીંગના ત્વરીત અને સચોટ પરિણામ મળી રહ્યાં છે : ડૉ.પ્રણવ પટેલ
અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ , ૨૪ માર્ચ: દર વર્ષે ૨૪મી માર્ચના દિવસને “વિશ્વ ક્ષય દિવસ”( World Tuberculosis Day) તરીકે ઉજવવામાં આવે છે. દેશમાં “ટી.બી. હારેગા, દેશ જીતેગા“ ના સંકલ્પ સાથે વર્ષ ૨૦૨૫ સુધીમાં ટી.બી.ની જળમૂળથી નાબૂદી માટે કેન્દ્ર સરકાર સંકલ્પબધ્ધ છે.રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમાં ટી.બી.ને નેસ્તાનાબૂદ કરાવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. ટી.બી. નાબૂદી અભિયાનમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં અગ્રેસર છે. ગુજરાત રાજ્ય દ્વારા ટી.બી. જાગૃતી અંગે અને ટી.બી. રોગ પર નિયંત્રણ મેળવીને તેને જલ્દી થી જલ્દી નેસ્તાનબૂદ કરવાની દિશામાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાય સમયથી “સ્ટેટ ટી.બી. આંક”માં ગુજરાત રાજ્ય મોખરે રહ્યું છે.
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી સ્ટેટ ટી.બી. ટ્રેનિંગ અને ડેમોન્સ્ટ્રેશન સેન્ટર(STDC)ના ડાયરેક્ટર ડૉ. પ્રણવ પટેલ જણાવે છે કે , અમારી ટી.બી. હોસ્પિટલની ટીમ દ્વારા સમગ્ર રાજયમાં વર્ષ દરમિયાન ટી.બી. જાગૃતિ અંગેની વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે. તબીબો દ્વારા વિવિધ કેમ્પનું આયોજન કરીને પણ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ટી.બી.ના ટેસ્ટ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન સિવિલ મેડિસીટીમાં આવેલી ટી.બી.હોસ્પિટલમાં ૩૦ હજાર થી વધુ ટી.બી. દર્દીઓના સ્પેશીમેન (ગળફાની તપાસ) સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી અત્યાધુનિક હાઇ-ટેક મશીનરીઓના ઉપયોગી આવા દર્દીઓને ત્વરીત અને સચોટ પરિણામ મળી રહ્યાં છે.
રાજ્યના અન્ય જિલ્લાઓ અને તાલુકા સ્તરે અમારી હોસ્પિટલની સંકલિત ટીમ દ્વારા ૧ લાખ થી વધુ દર્દીઓના સ્પેશીમેન સેમ્પલ લઇને રાજ્ય સરકાર દ્વારા ઉપલ્બધ કરાવેલ અત્યાધુનિક ટેકનોલોજીયુક્ત CB-NAAT (Cartridge based nucleic acid amplification test) અને TRUENAT મશીનમાં ટેસ્ટીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દર વર્ષે ગંભીર ટી.બી. રોગની સ્થિત ઘરાવતા ૩૫૦૦ જેટલા દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા અત્યંત મોંધી બેડાક્યુલીન અને ડેલામેનીડ જેવી અસરકારક દવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ટી.બી ગ્રસ્ત દર્દીઓને પોષણ સહાય માટે “નિ:ક્ષય પોષણ યોજના” અંતર્ગત દર મહિને ૫૦૦ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.