નર્મદા જિલ્લાની 1.21 લાખ પ્રધાનમંત્રી જનધન ખાતા ધારક મહિલાઓના ખાતામાં કુલ રૂ. 6.05 કરોડ જમા થયા
નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જનધન ખાતા ધારક મહિલાઓના ખાતામાં રૂ. 500નો હપ્તો જમા થયો
04 MAY 2020 by PIB Ahmedabad
નોવલ કોરોનાવાયરસ (COVID-19)ની વૈશ્વિક મહામારી સંદર્ભે કેન્દ્ર સરકાર તરફથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જનધન યોજનામાં બચતખાતું ધરાવતી 1.21 લાખ મહિલાઓના ખાતામાં કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 500ના હપ્તા પેટે કુલ રૂ.6.05 કરોડની રકમ જમા કરવામા આવી છે.
આ જમા થયેલ રકમ ઉપાડવા વધુ પડતા લોકો એક સાથે ભેગા ન થાય અને સામાજિક અંતર જળવાઇ રહે તે માટે જમા થયેલી રકમ ખાતામાંથી ઉપાડવા માટે નક્કી કરાયેલા જુદા-જુદા તબક્કાઓ મુજબ કુલ 5800 ખાતેદાર મહિલાઓને કુલ રૂ. 29 લાખની ચૂકવણી કરવામાં આવી હતી.
રાજપીપળાના લક્ષ્મીબેન વસાવાએ જણાવ્યું હતું કે, મારે જનધન ખાતુ છે અને મારા ખાતામાં સરકારે ચાલુ માસમાં રૂ. 500 રૂપિયા જમા કરાવ્યા છે, આથી હું મારી જરૂરીયાતની વસ્તુઓની ખરીદી કરી શકીશ. અત્યારે લૉકડાઉન હોવા છતાં પણ મને કોઇ પ્રકારની આર્થિક મુશ્કેલી નથી પડી રહી, આ મદદ માટે હું સરકારનો આભાર માનું છું.
નર્મદા જિલ્લાના લીડ ડિસ્ટ્રીક્ટ બેન્ક મેનેજર ગોવિંદભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તરફથી પ્રત્યેક મહિલા લાભાર્થીના ખાતામાં રૂ. 500/- લેખે રકમ જમા કરવામાં આવી છે. જિલ્લામાં કુલ-63 બેન્ક/શાખાઓ કાર્યરત છે, તે પૈકી 47 બેંક/શાખામાં જનધન ખાતા ખોલવામાં આવ્યાં છે. બેન્કમિત્ર (BC) પોઇન્ટ પર પણ પેમેન્ટ કરવામાં આવે છે. પોસ્ટ પેમેન્ટ પોઇન્ટ દ્વારા પણ બેન્કનાં ખાતાધારકોને નાણાં ઉપાડવાની સગવડ છે. બેન્કની બધી શાખાઓમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે સર્કલ દોરવાની સાથે મંડપ-ખુરશી-પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બેન્કના કર્મચારીઓ તેમજ ગ્રાહકોને સેનિટાઇઝર આપીને બેન્કમાં પ્રવેશ આપવામાં આવે છે.