જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાતાઓ દ્વારા વહાવવામાં આવી છે દાનની સરવાણી
અનેક પરિવારો અને વ્યક્તિ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ ની જવાબદારી નિભાવવામાં આવી
એડવોકેટ સ્વ દલસુખભાઈ મેહતા પરિવાર દ્વારા રૂપિયા 25 લાખ ની દાન ની સરવાણી
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૭ ડિસેમ્બર: સમાજમાં સાધન સંપન્ન અને સુખી લોકોની જરૂરિયાતમંદ સમાજ માટે કશુક કરવાની નૈતિક જવાબદારી રહેલી હોય છે અને આવી જ જવાબદારી બખૂબી નિભાવી રહયા છે અનેક નામી અનામી દાતાઓ.જામનગરની જી.જી.હોસ્પિટલમાં અનેક દાતાઓ દ્વારા રોકડ સહાયથી લઇ અનેક વસ્તુઓના દાન આપવામાં આવે છે. એડિશનલ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડટ ડો.અજય તન્નાના જણાવ્યાનુસાર કેટલાક દાતાઓ દ્વારા હોસ્પિટલને ૪૦ સ્પેશ્યલ રૂમ તૈયાર કરવા માટે સેટી, સોફાસેટ, રાઇટીંગ ચેર, ટેબલ, રિલેકસીંગ ચેર, કબબોર્ડ, ડ્રોઅર, ૬ ટેલીવિઝન સેટનું દાન આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત ટાટા કેમિકલ્સ દ્વારા રૂ. ૬૦ લાખના ખર્ચે ત્રણ વોશીંગ મશીન અને ૩ ડ્રાયરના સેટ અપાયા છે તો ન્યારા એનર્જી લીમીટેડ દ્વારા ૪૭૪૫ પીપીઇ (પર્સનલ પ્રોટેકટીવ ઇકવીપમેન્ટ) કીટ, નારાયણ સેવા ચેરી.ટ્રસ્ટ દ્વારા ૫૦૦ પીપીઇ કીટ, કનૈયાલાલ રોહેરા અને સોજીત્રા દ્વારા બે વ્હીલચેર, પ્રાણલાલ હિંડોચા દ્વારા ૩૫ બાયપેપ માસ્ક, ધનગુરૂનાનક સંસ્થા દ્વારા ૨૦ બાયપેપ માસ્ક (દર્દીઓને ઓકસિજન આપવા માટે બાયપેપ માસ્કનો ઉપયોગમાં થાય છે), સ્ટર્લિંગ એજન્સી દ્વારા ૨ લીટરની ક્ષમતા ધરાવતા ૧૦ વોટર જગ, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ૨૦૦ બેડસીટ અને ૧૦૦ પીપીઇ કીટ, વેલ્સ્પન ઇન્ડિયા, ગાંધીધામ દ્વારા ૧૦૦૦ બેડશીટ અને ટુવાલ, રોટરી કલબ દ્વારા હેન્ડ સેનીટાઇઝર રાખવાના સ્ટેન્ડ અર્પણ કરાયા હતા.
રમેશ ચોટાઇ દ્વારા એક, જેઠાલાલ ચંદારાણા દ્વારા બે અને અતુલ મોટર્સ દ્વારા એક બેટરી ઓપરેટેડ રિક્ષા હોસ્પિટલને અર્પણ કરાઇ છે. આમ હોસ્પિટલ પાસે કુલ ચાર રિક્ષાઓ ઉપલબ્ધ છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ ૨૦ વ્હીલચેર આપવામાં આવી છે.
એડ્વોકેટ સ્વ દલસુખભાઈ મેહતા પરિવારના ડો.કેતન મહેતા અને એડવોકેટ શૈલેષ મહેતા દ્વારા બાઇપેપ માસ્ક, ગ્લોવ્ઝ સહિતનો હોસ્પિટલને જરૂરિયાતનો રૂ.૨૫ લાખ જેટલો ફાળો આપવામાં આવ્યો હતો. તેમ મેડીસીન વિભાગના વડા પ્રોફેસર ડો. મનિષ મહેતાએ જણાવ્યું હતું.