ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે જે કાળા કાયદા લાવવામાં આવ્યાં એના કારણે આવનારા સમયમાં દેશમાં કંપની રાજ આવવાનું: ડૉ. મનિષ એમ. દોશી

IMG 20200307 173314 01 1

અમદાવાદ, ૦૮ ડિસેમ્બર: ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે જે કાળા કાયદા લાવવામાં આવ્યાં એના કારણે આવનારા સમયમાં દેશમાં કંપની રાજ આવવાનું, અંગ્રેજોના સમયમાં જેમ ઈસ્ટ ઈન્ડિયા કંપની આખા દેશના લોકોનું શોષણ કરતી હતી તે રીતે જ નવા સમયમાં ઉદ્યોગપતિઓ દ્વારા આખા દેશના ખેડૂતોનું શોષણ થશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ખેતી અને ખેડૂતને ખતમ કરી ઉદ્યોગપતિઓને માલામાલ કરવા વાળા કાયદાનો ખુબ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ કાયદાથી આવનારા સમયમાં આપણા તાલુકાઓમાં ચાલતી એ.પી.એમ.સી. માર્કેટની વ્યવસ્થાઓ ખતમ થશે. નાના મોટા વેપાર અને સાથેસાથે એ.પી.એમ.સી. ના માધ્યમથી રોજગાર મેળવતા અનેક મજુરોને પણ ખુબ મોટુ નુકસાન થશે, આ કાયદાથી એમ.એસ.પી. ની વ્યવસ્થા ખતમ થશે અને સાથે સાથે કોન્ટ્રાક્ટ ફાર્મીંગના કારણે જે ખેડૂત પોતાના જમીનનો માલીક છે એ ખેડૂત માલીક બનીને પોતાની જમીનમાં મજુર બને તેવા દિવસો આવવાના છે.

આવનારા સમયમાં સંગ્રહખોરી થશે, નફાખોરી થશે, કાળાબજારી થશે અને ખેડૂતોની નુકસાનની સાથે સાથે જે ગ્રાહકો છે એમને પણ ખુબ મોટુ નુકસાન થવાનુ છે. આ વાતને લઈ લાંબા સમયથી આખા દેશના ખેડૂતો વિરોધો કરી રહ્યાં છે તેમ છતાં ઉદ્યોગપતિઓની વકીલાત કરનારી સરકાર આજદિન સુધી આ ખેડૂતોની વાત સાંભળતી નથી અને એના કારણે જ આખા દેશના ખેડૂતોએ અને ખાસ કરીને ઉત્તર ભારતના ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ શરૂ કરી અને આપણે સૌએ જોયુ કે, કડકડતી ઠંડીમાં એ ખેડૂતો રસ્તા ઉપર બેઠા છે, દિવસોથી આંદોલનો કરી રહ્યાં છે તેમની ઉપર લાઠીઓ વરસાવવામાં આવે છે, પાણીનો મારો કરવામાં આવે છે, અત્યાચાર થઈ રહ્યો છે, તેમ છતાંય ખેડૂતો મક્કમ રીતે લડાઈ લડી રહ્યાં છે. એજ ખેડૂતોને સમર્થન આપવા માટે આખા દેશના વિવિધ ખેડૂત સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. કોંગ્રેસપક્ષે હંમેશા કાળા કાયદાનો પહેલા દિવસથી વિરોધ કર્યો છે. કોંગ્રેસના કાર્યકરોએ આ કાળા કાયદા પાછા લેવા માટે આંદોલનો – ધરણાં – ઉપવાસ પણ કર્યાં છે. જે વાતને લઈ આજે ખેડૂત સંગઠનો દ્વારા આપવામાં આવેલ ગુજરાત બંધના એલાનને કોંગ્રેસપક્ષે સમર્થન કર્યું છે. ગુજરાતની વાત કરીએ તો ગઈકાલ રાતથી જ આ આંદોલનના ભયથી ડરી ગયેલી સરકાર અને ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી રાજ્યની ભાજપા અને મુખ્યમંત્રીએ જે રીતે પોલીસ અને પ્રશાસનનો ડર ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે. એ ગઈકાલ રાતથી દરેક એ.પી.એમ.સી. માર્કેટઓએ આ બંધને સમર્થન જાહેર કર્યું હતું, બંધ રાખવા માટેની નોટીસો જાહેર કરી હતી, એ લોકોને દબાણ કરીને ફરી પાછા એ.પી.એમ.સી. ચાલુ કરાવવાનો દબાણ થયા, અનેક કાર્યકરોની, અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓની રાત્રેજ તેમના ઘરોમાં અટકાયત કરવામાં આવી. નજર કેદ કરવામાં આવ્યાં છે, આજે સવારથી પોલીસ દ્વારા અનેક જગ્યાએ દબાણ ઉભુ કરી, દમન કરી બંધ કઈ રીતે સફળ ના થાય તેવા પુરા પ્રયત્ન કરવામાં આવ્યાં છે.

તેમ છતાં પણ અનેક જગ્યાએ એ.પી.એમ.સી. ના સંચાલકોએ સરકારના દબાણ વશ અમે બંધને સમર્થન નથી કરતા એવી જાહેરાતો કરતા છતાં પણ ખેડૂતોએ સ્વયંભૂ માર્કેટમાં આવવાનું ટાળ્યું છે. અનેક એ.પી.એમ.સી.એ સ્વયંભૂ રીતે જ બંધ પાળ્યો છે. રીક્ષા ચાલક સંગઠન, વહેપારી મંડળ સંગઠન, ખેડૂત સંગઠન તે તમામ લોકો પણ આજે બંધમાં જોડાયા છે. એ જોતાં સ્વેચ્છીક બંધમાં જોડાવવાની જે અપીલ હતી, તે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સરકારના દબાણ થી કેટલાંક લોકો બંધમાં ના જોડાય, કેટલાંક લોકો કદાચ આ ખેડૂત વિરોધી માનસિકતામાં માનતા હોય એના કારણે ના જોડાય પણ ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે અને ખેડૂતોના હક્ક – અધિકારની લડાઈમાં સમર્થન આપવું જોઈએ તે લાગણી સાથે આ બંધને સીધો કે આડકતરી રીતે સમર્થન કરી રહ્યાં છે. તેવા અનેક ર્દશ્યો સમગ્ર રાજ્યમાં અનેક જગ્યાએ જોવા મળ્યા.
કેન્દ્રની ભાજપા સરકારના કાળા કાયદા સામે ખેડૂત સંગઠન દ્વારા અપાયેલા ભારત બંધને અનુલક્ષીને ગુજરાતમાં પણ મોટા પાયે બંધને સમર્થન મળ્યું. કોંગ્રેસપક્ષના કાર્યકરો, આગેવાનો, ધારાસભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓને સવારથી જ ઠેર-ઠેર ખેડૂત સમર્થનમાં જોવા મળ્યા અને ભારે પ્રતિસાદ મળ્યો. ભાજપાની દંડ-દંડાની રાજનિતિ સામે જનતા અને ખેડૂત સમાજે ભારે આક્રોશ વ્યક્ત કર્યો. ઠેર ઠેર ચક્કાજામ થયા, સરકારના ઈશારે પોલીસતંત્રે બળપ્રયોગ કર્યો પણ, તેમ છતાં કોંગ્રેસપક્ષના કાર્યકરો – આગેવાનો – ધારાસભ્યોએ સંયમ રાખીને બંધને સફળ બનાવવા કરેલી મહેનત અભિનંદનને પાત્ર છે

Advertisement