કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલા શ્રેણીબદ્ધ પગલાં
- રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી ખાતે બહારથી આવતી ટ્રાવેલ્સના મુસાફરોનો કરાતો રેપિડ એન્ટીજન ટેસ્ટ
- થર્મલ ગન, પલ્સ ઓક્સીમીટર જેવા અદ્યતન સાધનો દ્વારા લોકોનું કરાતું હેલ્થ ચેક-અપ
રાજકોટ, ૧૯ સપ્ટેમ્બર:રાજકોટ શહેર-જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ‘‘સાવચેતી એ જ સલામતી’’ના આધારે શ્રેણીબદ્ધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ માટે શહેરની ગ્રીનલેન્ડ ચોકડી ખાતે કામ ચલાઉ ચેક પોસ્ટ ઉભી કરવામા આવી છે. રાજકોટ શહેરમા પ્રવેશતી ખાનગી ટ્રાવેલ્સના મુસાફરોના હેલ્થ સ્ક્રિનિંગની સાથે રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
ગ્રીન લેન્ડ ચોકડી ખાતેની ચેક પોસ્ટ ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસર ડો. અંજલી પેઢડીયા કહે છે કે, અહિંયા મુસાફરોમાં જેમની ઉંમર ૬૦ થી વધુ હોય, ડાયાબીટીસ, હ્રદય રોગ વગેરે રોગથી પીડિત હોય અને શરદી, તાવ, ઉધરસ જેવા લક્ષણ ધરાવતા હોય તેવા લોકોના પણ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય જે કોઇ પણ વ્યક્તિ ટેસ્ટ કરાવવા માગતા હોય તો તેમનો પણ ટેસ્ટ કરવામાં આવે છે. સાથે જ થર્મલ ગન, પલ્સ ઓક્સીમીટર વગેરે અદ્યતન સાધનો દ્વારા તેમના આરોગ્યની તપાસણી પણ કરવામાં આવે છે. અને તેમના ચેકઅપના આધારે તેમની જરૂરિયાત મુજબની દવાઓ આપવામાં આવે છે.
જે લોકોનો ટેસ્ટ પોઝિટીવ આવે તેમને સંબંધિત હેલ્થ સેન્ટર આવે આ બાબતની જાણ કરવામા આવે છે. અને તેમને ક્વોરન્ટાઈન કરવાની સાથે તેમની જરૂરી સારવારની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. આ માટે ધન્વતંરી રથના આરોગ્ય કર્મીઓ દ્વારા પોઝિટીવ દર્દીની સારવાર માટે મુલાકાત લઈ, સારવાર અને જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડવામા આવે છે. ઉપરાંત સંજીવની રથના માધ્યમથી ક્વોરન્ટાઈન કરાયેલ દર્દીઓનુ સતત ફોલોઅપ લેવામા આવે છે. દર્દીઓને જરૂરી સારવાર મુજબ એઝીથ્રોમાઈસીન, સીપીએમ, પીસીએમ, ફોલીક એસિડ, વિટામીન બી-૧૨, વિટામીન-સી, ઝીંક, પેન્ટો પ્રેજોલ વગેરે દવાઓ આપવામા આવે છે.
વધુમાં ડો. અંજલી પેઢડીયા કહે છે કે, મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ કોરોના વાયરસના સંક્રમણને ખાળવા માટેના પ્રયાસો કરવામા આવી રહ્યા છે. જેના ભાગરૂપે ખાસ કરીને બહાર આવતા સંક્રમિતોની ટેસ્ટ કરવાથી ઓખળ થઈ શકે છે. જેથી સંક્રમણ ફેલાતુ અટકાવી શકાય છે. તેમજ લક્ષણજન્ય દર્દીઓની ઓળખ કરી શકાય છે. આમ, રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવાની સાથે લોકોના હેલ્થ સ્ક્રિનિંગથી આવનારા દિવસોમા ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થશે, તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.