વડોદરા જિલ્લા કલેકટરશ્રીએ વાઘોડિયા મામલતદારને સાવચેતી રાખવા આપી સૂચના
રૂલ લેવલ જાળવવા દેવ ડેમમાં થી 964.80 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતાં આંશિક 30 સેમી ખુલ્લા રાખવામાં આવેલા બે દરવાજા 15 સેમી ખુલ્લા રખાયા
વડોદરા,૨૩ ઓગસ્ટ,ઉપરવાસમાં વરસાદ અટકતા હાલોલ તાલુકાના દેવ ડેમમાં પાણીની આવક ઘટી છે.વડોદરા સિંચાઇ વર્તુળ દ્વારા જિલ્લા પુર નિયંત્રણ કક્ષને ઉપરોક્ત જાણકારી આપવાની સાથે જણાવવામાં આવ્યું છે કે તકેદારીના રૂપમાં અને ડેમ નું જળ સ્તર રૂલ લેવલે જાળવી રાખવા , હાલમાં ડેમના બે દરવાજા નં.4 અને 5 આંશિક 15 સેમી ખોલીને 964.80 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. અગાઉ આ દરવાજા 30 સેમી જેટલા ખુલ્લા રાખીને 1932.43 ક્યુસેક વધારાના પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો હતો. ચેતવણીના સ્તરને ધ્યાનમાં રાખીને આ ડેમ ખાતે રૂલ લેવલ જાળવવાની તકેદારી સતત લેવામાં આવી રહી છે.
તેને અનુલક્ષીને જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે વાઘોડિયા મામલતદારને તાલુકામાં અને ખાસ કરીને નદી કાંઠાના ગામોમાં સંપૂર્ણ સાવચેતી રાખવા અને જરૂર પડ્યે તકેદારીના તમામ પગલાં લેવા સૂચના આપી છે.દેવ કાંઠાના તમામ ગામોના લોકોને નદી કાંઠે ન જવા,નદી કાંઠા પર રોકાણ ન કરવા અને ઢોરઢાંખરને સલામત રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.