જામનગરમાં કોરોના વેકશીન નો પ્રથમ જથ્થો આવી પોહચિયો, સાંસદ સહિતના મહાનુભાવો એ આવકાર્યો..
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૩ જાન્યુઆરી: કોરોનાની આ મહામારીમાં મહામૂલા જીવન આપણે ગુમાવ્યા છે પરંતુ કોરોનાને હરાવીને કે જાકારો આપવાના તેનો જુસ્સો, હિંમત અને ધીરજ ગુમાવ્યા વગર કરેલા નિરંતર પ્રયત્નો થકી ભારતને કોરોના સામે અમોઘ શસ્ત્ર સમાન વેક્સિન મળી છે તે ગર્વની વાત છે. સમગ્ર દુનિયાની જેના પર નજર હતી તેવી કોરોના વેક્સિનેશન ઝુંબેશ વિશાળ જનસમુદાય ધરાવતા ભારત દેશમાં તા. ૧૬-૦૧-૨૦૨૧ ના રોજ શરૂ થનાર છે. જેના ભાગરૂપે જામનગર કલેકટર કચેરી ખાતે જામનગર જિલ્લા માટે કૂલ ૧૪,૦૦૦થી વધુ વેક્સીન ડોઝનો જથ્થો આવી પહોંચ્યો હતો જેનું સાંસદશ્રી પૂનમબેન માડમે શ્રીફળ વધેરી અને હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે સાંસદશ્રી પૂનમબેમ માડમે જણાવ્યું હતું કે, સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા આ રસીની શોધ થઈ છે. દેશના પ્રધાનમંત્રીશ્રીની ઉદાત્ત ભાવના અને દિવસ-રાત એક કરી વેક્સીનની શોધમાં સફળતા પ્રાપ્ત કરતા વૈજ્ઞાનિકોએ દેશને આ મહામારીના સંક્ટમાંથી ઉગારવા જે વેક્સીનનું નિર્માણ કર્યું છે, તે આજે જામનગરના આંગણે આવી પહોંચી છે. દેશમાં જ કોરોનાની રસીનું સંશોધન થાય અને દેશવાસીઓ સંકટમાંથી બહાર આવે,તે આનંદની ક્ષણો છે. દસ મહિનાના અંતે હિન્દુસ્તાનની ધરતી પર આ રસીની શોધ થઈ છે જે ગર્વની બાબત છે. આ રસી અસરકારક અને સંપૂર્ણ સુરક્ષિત છે. આત્મનિર્ભર ભારતના માર્ગ પરનું આ પહેલું કદમ છે. આ રસીના ઉપયેાગ વડે રસીકરણથી દેશવાસીઓને કોરોના સામે સુરક્ષા કવચ આપી શકાશે.
જામનગર ખાતે આ રસીનો પહેલો જથ્થો આવી પહોંચ્યો છે. જેને કારણે જામનગરના લોકો હર્ષ સાથે રાહતની લાગણી અનુભવી રહ્યા છે. દરેક લોકોને તબક્કાવાર વેકસીનેશનનો લાભ મળે તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં સઘન અને સુચારૂ આયોજન કરાયું છે.
જામનગર ખાતે સરકારી તેમજ ખાનગી દરેક ડોક્ટર, નર્સ, આશા વર્કર વગેરે મેડિકલ- પેરામેડીકલ વગેરે આરોગ્યકર્મીઓની યાદી ઉપલબ્ધ છે જેમને પ્રથમ તબક્કે વેક્સિન આપવામાં આવશે અને આ માટે વેક્સિનનો પૂરતો જથ્થો આજે જામનગર જિલ્લાને પ્રાપ્ય થયો છે તેમ સાંસદએ ઉમેર્યુ હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, કોવિડ વેકસીન કોવિશિલ્ડના સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. આ વેક્સિનનું તાપમાન ૨° થી લઈને ૮° સે. જેટલું જાળવી રાખવામાં આવે છે. વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં કોરોના સામે બાથ ભીડનાર અગ્રીમ હરોળના કોરોના વોરીયર્સ એવા આરોગ્યકર્મીઓને વેકસીન આપવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૫ સ્થળોએ તથા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ૩ સ્થળોએ વેકસીન આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં જામનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતના કુલ ૫૬ સ્ટોરેજ કેન્દ્રો સુનિશ્ચિત કરાયા છે.
તમામ કેન્દ્રો પર ફ્રિઝરના ટેમ્પરેચર અને તમામ વેક્સિનના સ્ટોકનું મોનીટરીંગ EVIN સોફ્ટવેર મારફત ઓનલાઇન જોઈ શકાય છે. વેક્સીન ટ્રાન્સપોર્ટેશન માટે જિલ્લા કક્ષાએ અને મહાનગરપાલિકા પાસે પણ વેક્સીન વાન ઉપલબ્ધ છે.
જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રમેશભાઇ મુંગરા, શહેર ભાજ્પ પ્રમુખશ્રી વિમલભાઇ કગથરા, કમિશનરશ્રી સતિષ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપિન ગર્ગ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો….જામનગર જિલ્લામાં હાઇસ્કુલ શરૂ થયા ત્રણ દિવસમાં વિદ્યાર્થીમાં કોરોનાનો પ્રથમ કેસ જોવા મળ્યો