સયાજી હોસ્પિટલે કપરા કોરોના કાળમાં શસ્ત્રક્રિયાની જરૂરવાળા દર્દીઓને કફોડી હાલતમાંથી ઉગાર્યા
- સયાજી હોસ્પિટલે કપરા કોરોના કાળમાં શસ્ત્રક્રિયાની જરૂરવાળા દર્દીઓને કફોડી હાલતમાંથી ઉગાર્યા
- સંકટ સમયે સલામત સર્જરીનો એકમાત્ર આધાર બની સરકારી હોસ્પિટલ
- વિવિધ વિભાગોમાં ૩૬૦ થી વધુ કોવીડ પોઝિટિવ લોકોની શસ્ત્રક્રિયાઓ કરવામાં આવી
- ગત વર્ષમા સયાજી ઋગ્નાલય ના વિવિધ વિભાગોમાં ૬૫૦૦૦ થી વધુ નાની મોટી સર્જરીઓ કરવામાં આવી
અહેવાલ: બી.પી.દેસાઈ, વડોદરા
વડોદરા, ૦૬ જાન્યુઆરી: કોરોના કાળ એ કપરી કટોકટીનો કાળ હતો.ખાસ કરીને કોરોના સમયે ખાનગી અને અન્ય દવાખાનાઓમાં સંક્રમણના જોખમને લીધે શસ્ત્રક્રિયા એટલે કે જરૂરી સર્જરીનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું હતું.અને તેમાં પણ સર્જરીની જરૂર હોય તેવો દર્દી જો કોવિડ પોઝિટિવ આવે તો સરકારી દવાખાનામાં મોકલવાનો માર્ગ અપનાવવામાં આવતો હતો.
આવા કપરા સમયમાં સયાજી હોસ્પિટલના વિવિધ વિભાગોને સર્જરીની તાતી જરૂર વાળા દર્દીઓનો હાથ પકડવાની અનોખી ફરજ નિષ્ઠા બતાવી હતી અનેક તેમને કફોડી હાલતમાં મુકાતા બચાવ્યા હતા. આમ,સંકટ સમયે આ સરકારી દવાખાનું સલામત સર્જરીનું કેન્દ્ર બની લોકોની મદદે આવ્યું હતું અને તેની સાથે જોડાયેલા સયાજીરાવ મહારાજના નામને દીપાવ્યું હતું.
સરકારી દવાખાનામાં ક્યારેય કોઈને સારવારની ના ન પાડી શકાય એ વણલખ્યો નિયમ છે
એવી લાગણી વ્યક્ત કરતા સયાજી હોસ્પિટલની કોવિડ સુવિધાના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે વિવિધ કારણોસર ખાનગી અને અન્ય હોસ્પિટલોમાં તાકીદની સર્જરી પણ ભાગ્યે જ કરવામાં આવતી પરંતુ સયાજી હોસ્પિટલના વિવિધ વિભાગોએ ચેપ અટકાવવાની જરૂરી તકેદારીઓ પાળીને લગભગ ૩૬૦ થી વધુ કોવીડ પોઝિટિવ દર્દીઓની સર્જરી કરીને ખૂબ જ રાહત આપવાનું કામ કર્યું હતું. આ સમયગાળામાં અંદાજે ૧૫૦ થી વધુ કોવીડ પોઝિટિવ સગર્ભાની સલામત પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિષયક જરૂરી શસ્ત્રક્રિયાઓ કરવામાં આવી હતી.આ ઉપરાંત તમામ વિભાગોમાં કોવીડ મુક્ત દર્દીઓના તાકીદના ઓપરેશન, પ્રોસિજરની કામગીરી તો લગભગ સતત ચાલુ રાખવામાં આવી હતી.આમ,રાઈઝ ટુ ધી ઓકેઝન ની ઉકિત આ સરકારી દવાખાનાએ સાર્થક કરી બતાવી હતી.
સન ૨૦૨૦ એ કોરોના કટોકટી નું વર્ષ હતું. તેમ છતાં, સામાન્ય વર્ષોની જેમ જ સયાજી હોસ્પિટલના જનરલ સર્જરી, સ્ત્રીરોગ અને પ્રસૂતિ, ઓર્થોપેડીક, પ્લાસ્ટિક સર્જરી ,નેત્ર રોગ, પિડીયાટ્રીક અને ન્યુરો સહિતના વિભાગોએ પ્લાન્ડ એટલે કે પૂર્વ આયોજિત અને આકસ્મિક એટલે કે ઇમરજન્સી સર્જરીની કામગીરી આખું વર્ષ અને અવિરત ચાલુ રાખી હતી.આ ઉપરાંત તાત્કાલિક સારવાર વિભાગમાં પણ જરૂરી પાટાપિંડી અને નાની મોટી સર્જરી અને પ્રોસીજરની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.આ તમામ વિભાગોની વાર્ષિક કામગીરીનો સરવાળો કરીએ તો લગભગ ૬૫ થી ૭૦ હજારથી વધુ નાની મોટી સર્જરી અને જરૂરી પ્રોસીજર સયાજી હોસ્પિટલમાં કોવીડ કટોકટીના વર્ષમાં કરવામાં આવ્યા .અને આ સર્જરીનો સરેરાશ ખર્ચ માત્ર એક સર્જરીના રૂ. ૧૦૦૦ ગણો તો પણ આ સરકારી દવાખાના એ ૬૫૦૦૦ ગુણ્યા ૧૦૦૦ પ્રમાણે જરૂરિયાતમંદ દર્દીઓનું કેટલું મોટું આર્થિક ભારણ હળવું કર્યું એ તમે જાતે જ ગણી લેજો.
કોવિડનો સમયગાળો એવો હતો અને છે કે,સર્જરી જેવી સારવારના સરકારી દવાખાના સિવાય ભાગ્યેજ કોઈ વિકલ્પ ઉપલબ્ધ હતાં.તેવા સમયે સરકારી સયાજી હોસ્પિટલ એ માનવતાથી મહેંકતી ફરજ નિષ્ઠા નું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે.
આ પણ વાંચો….શેર બજારમાં તેજી આવતા સોના-ચાંદીના ભાવમાં થયો વધારો, જાણો આજની કિંમત
આ પણ વાંચો…ભારતમાં જાન્યુઆરીની આ તારીખથી રસીકરણ શરુ, 22 લોકો નવા સ્ટ્રેનથી સંક્રમિત