સિવિલ મેડિસીટીની તમામ હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ ઓક્સિજનની ક્ષમતા ઉપલબ્ધ
કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા વધારાની પ્રવાહી ઓક્સિજન ટેન્ક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે
અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ, ૩૦ નવેમ્બર: કોરોનાગ્રસ્ત દર્દીઓના શરીરમાં રહેલું ઓક્સિજનનું પ્રમાણ એકાએક ઘટવા લાગે ત્યારે આવા પ્રકારના દર્દીઓને માસ્ક અથવા વેન્ટીલેટર દ્વારા ઓક્સિજન આપવાની તાકીદે જરૂરિયાત પડે છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અને દર્દીઓના સ્વાસ્થયની દરકાર કરીને રાજ્ય સરકાર દ્વારા રાજ્યનો કોઇપણ નાગરિક સારવાર દરમિયાન ઓક્સિજનની જરૂરિયાતથી વંચિત ન રહી જાય તે માટે તમામ પ્રકારની સુવિધાઓ ત્વરિત ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
તહેવારો બાદ હાલ અમદાવાદ સિવિલ સંકુલની કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. અહીં સારવાર અર્થે આવતા કોરોનાગ્રસ્ત દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સિવિલ મેડિસીટીની કોરોના ડેડિકેટેડ તમામ હોસ્પિટલ માં ઓક્સિજનની પુરતી ક્ષમતા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અમદાવાદ સિવિલ મેડિસીટી સંકુલમાં આવેલી સિવિલ હોસ્પિટલની કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૨૦ હજાર લિક્વિડ ઓક્સિજનની ક્ષમતા ઉપલબ્ધ છે. જ્યારે નોન કોવિડ હોસ્પિટલમાં પણ ૨૦ હજાર લીટર લિક્વિડ ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા મળેલ સુચના અનુસાર અમદાવાદ સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૨૦ હજાર લીટરની ક્ષમતા ઘરાવતી વધુ એક ઓક્સિજન ટેન્ક ઉપલબ્ધ કરાવવાની કામગીરી હાથ ધરવમાં આવી છે. જે ટૂંક સમયમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સુખાકારી માટે ઉપયોગમાં લેવાશે. સિવિલ સંકુલમાં આવેલી કોરોના ડેડિકેટેડ કેન્સર હોસ્પિટલમાં હાલ ૨૮૦૦ લીટર કેપીસીટીની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક કાર્યરત છે.તેમજ ઓક્સિજન ટેલર દ્વારા પણ ઓક્સિજનની જરૂરિયાત સંતોષવામાં આવે છે. ટૂંક સમયમાં કોરોના ડેડિકેટેડ કેન્સર હોસ્પિટલમાં અન્ય ૧૧ હજાર લીટર લીક્વીડ ઓક્સિજનની ક્ષમતા ધરાવતી વધુ એક ઓક્સિજન ટેન્ક કાર્યરત કરવામાં આવનાર છે.
સિવિલ સંકુલની કિડની હોસ્પિટલમાં ૧૩ હજાર લીટરની ઓક્સિજન ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક દર્દીઓની સેવામાં ઉપલબ્ધ છે. આવતીકાલથી મંજુશ્રી કંપાઉન્ડમાં આવેલી કિડની હોસ્પિટલ કે જે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કાર્યરત થશે તેમાં પણ ૨૦ હજાર લીટરની લીક્વીડ ઓક્સિજનની ટેંક કાર્યરત છે. તેમજ અન્ય ૨૦ હજાર લીટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મંજુશ્રી કંપાઉન્ડ સ્થિત કોરોના ડેડીકેટેડ હોસ્પિટલમાં ભારત સરકાર તેમજ રાજ્ય સરકારના સહયોગથી ખૂબ જ ટૂંક સમયમાં ઓક્સિજન ટેન્કની જરૂરિયાત સંતોષવામાં આવી છે.