નારી તું નારાયણી: સગર્ભા મહિલા તબીબ નિષ્ઠા સાથે કોરોના વિષયક આરોગ્ય સેવા આપી રહ્યાં છે
નારી તું નારાયણી: સગર્ભા મહિલા તબીબ નિષ્ઠા સાથે કોરોના વિષયક આરોગ્ય સેવા આપી રહ્યાં છે: અંકોડિયાના એ.એન.બહેનની સેવા નિષ્ઠાને ગામલોકો વખાણે છે
વડોદરા, ૩૦ નવેમ્બર: જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલની આજની વડોદરા તાલુકાની મુલાકાત અને આરોગ્ય સેવાઓના નિરીક્ષણ સમયે નારી તું નારાયણીની ઉકિત સાર્થક કરતી બે ઘટનાઓ સામે આવી હતી. સેવાસી ખાતે ધન્વંતરિ રથ સાથે આર.બી.એસ.કે. તબીબ ડો.ભૂમિકા ઘોડાસરા આરોગ્ય સેવાઓ આપતાં નજરે પડ્યા હતા.ખાસ વાત એ છે કે તેઓ સાત મહિનાની સગર્ભાવસ્થા હોવા છતાં ખૂબ જ નિષ્ઠા સાથે આરોગ્ય સેવાઓ આપી રહ્યાં હતાં.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદયે જણાવ્યું કે તેઓ કોવિડ કટોકટીની શરૂઆત થી જ સમર્પિત રીતે સેવાઓ આપી રહ્યાં છે અને ફરજમાં જરાય પાછી પાની કરી નથી. તેવી જ રીતે, અંકોડિયાના એ.એન.એમ.લક્ષ્મી બહેન ગુરખાની નિષ્ઠા સભર આરોગ્ય સેવાઓની ગવાહી ખુદ ગ્રામજનોએ આપી હતી.
કલેકટરશ્રીએ આ બંને મહિલા આરોગ્ય કર્મયોગીનીઓને અભિનંદન આપવાની સાથે તેમની ફરજ નિષ્ઠાને પ્રેરક અને અનુકરણીય ગણાવીને બિરદાવી હતી.