sarojben sisangiya

સ્વજનના મૃત્યુ સમયે હૈયે હામ રાખીને ડોર ટુ ડોર સર્વેમાં ફરજ નિભાવતા કર્મયોગી આશા વર્કર

Sarojben Sisangia , Asha worker Rajkot
સરોજબેન શીશાંગિયા, આશાવર્કર
  • સ્વજનના મૃત્યુ સમયે હૈયે હામ રાખીને ડોર ટુ ડોર સર્વેમાં ફરજ નિભાવતા કર્મયોગી આશા વર્કર
  • “લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા એ જ મારા માટે અગિયારસ છે: આશાવર્કર સરોજબેન શીશાંગિયા
  • સતત આઠ મહિનાથી રાજકોટના હોટસ્પોટ ગણાતાં વિસ્તારોમાં પ્રતિદિન ૧૫૦-૨૦૦ જેટલા ઘરોમાં ડોર ટુ ડોર સર્વેની નિરંતર સેવા

અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ

રાજકોટ, ૨૬ નવેમ્બર: “મે અધિક માસ અને અગિયારસ રાજકોટના હોટસ્પોટ ગણાતા વિસ્તારોમાં ફરજ દરમિયાન પુરા કર્યા છે. મારા માટે તો લોકોને કોરોના સંક્રમણથી બચાવવા એ જ મારી અગિયારસ છે.” આ શબ્દો છે આશાવર્કર સરોજબેન શીશાંગિયાના.., પ્રવર્તમાન સમયમાં જ્યારે આખો દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં પણ આશાવર્કર બહેનો દ્વારા જિલ્લાને કોરોનામુક્ત બનાવવા સઘન અને સકારાત્મક કામગીરી કરવામાં આવી રહી છે. આજે આપણે એવા જ એક ફરજનિષ્ઠ કર્મયોગી સરોજબેન અંગે વાત કરવી છે. 

whatsapp banner 1

સરોજબેન રામનાથપરા આરોગ્ય કેન્દ્રમાં આશાવર્કર તરીકે કાર્યરત છે,  સતત આઠ મહિનાથી આજ સુધી પ્રતિદિન તેમણે રાજકોટ શહેરના હોટસ્પોટ ગણાતાં વિસ્તારોમાં અભૂતપૂર્વ કામગીરી કરી છે. શરૂઆતમાં તેમણે મહાનગરપાલિકા સંચાલિત ધન્વંતરિ રથમાં ડોકટર્સ સાથે રહીને લોકોને આયુર્વેદિક ઉકાળા, દવાનું વિતરણ કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી ત્યાર બાદ રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા સરોજબેન ડોર ટુ ડોર સર્વે કરી રહ્યા છે. પોતાના કાર્યાનુભવ વિશે વાત કરતા સરોજબેન જણાવે છે કે,”અમે દરરોજ ૧૫૦-૨૦૦ ઘરોના સર્વે કરીએ છીએ, ખાસ તો અમે લોકોના મનમાંથી કોરોનાનાં ભયને દૂર કરવાનું કામ કરીએ છીએ અને લોકોને ટેસ્ટ કરવા પ્રેરિત કરીએ છીએ, પહેલાં લોકો અમારી વાત માનતા નહીં, તેમને સમજાવવા જતા ઘણી વાર અમારે ઘણુ જ ખરૂ-ખોટું સાંભળવું પડતુ, છતાં અમે તેમને ટેસ્ટ કરાવવા માટે સમજાવતા. ઘણા પોઝિટિવ દર્દીઓ અમને આમ જ મળ્યા. ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા અને જ્યારે તંદુરસ્ત થઈને તેઓ ઘરે પાછા આવે ત્યારે તેઓ ખુશ થઈને અમારો દિલથી આભાર માનતા, અમને આશીર્વાદ આપતાં. આશાવર્કરની સાથે એક માનવ તરીકે અમારૂં એક માત્ર ધ્યેય છે કે અમે વધુ થી વધુ લોકોને આ વૈશ્વિક મહામારીથી મુક્ત રાખીએ”

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે સરોજબેનના એક સ્વજનનું અવસાન થયું એ સમયે તેઓ ફરજ પર હતા. જ્યારે તેમને આ વાતની ખબર પડી ત્યારે તેમણે હૈયે હામ રાખી, મનને મક્કમ કરીને લોકોને કોરોનામુક્ત કરવા ખડે પગે હાજર રહ્યા હતા. તેમનો આ નિર્ણય સરાહનીય છે, સરોજબેને પોતાના અગિયારસ અને અધિક માસના ઉપવાસને પણ લોકોને કોરોનાનાં સંક્રમણથી બચાવવા માટે સમર્પિત કર્યા છે. 

આમ, સરોજબહેન તેમની નૈતિક ફરજની સુવાસ થકી અન્ય આશાવર્કર બહેનો માટે પ્રેરણારૂપ બન્યા છે.