કલેક્ટર તરીકે નહિ પણ એક બહેન તરીકે કોરોના વોરિયર્સની જીવનરક્ષાની કામના કરું છુ: શાલિની અગ્રવાલ
કોરોના વોરિયર્સને પ્રોત્સાહિત કરવા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલની આગવી પહેલ
કોરોના વોરિયર્સને રક્ષાસુત્ર બાંધી રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવી
તાલુકા કક્ષાએ પણ કોરોના વોરિયર્સ માટે રક્ષા બંધન પર્વ ઉજવી કમૅયોગીઓને પ્રોત્સાહિત કરાયા…
વડોદરા તા.૦૪ ઓગસ્ટ, ૨૦૨૦ (મંગળવાર) ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન નિમેત્તે દરેક બહેન ભાઈની રક્ષા માટેની કામના કરતી હોય છે. પરંતુ કોરોના વાયરસની મહામારીના પગલે વિશેષ પરિસ્થિત ઉભી થઈ છે ત્યારે જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે કોવીડ-૧૯ સામેની લડાઈમાં જોતરાયેલા આરોગ્ય, પોલીસ, મહેસૂલ વિભાગના અધિકારી-કર્મચારીઓની કલેક્ટર તરીકે નહી પણ એક બહેન તરીકે તેમની રક્ષાની કામના કરી છે. આ પ્રસંગે કલેક્ટર શ્રીમતી અગ્રવાલે પ્રતિકાત્મક રીતે આરોગ્ય સેવામાં જોડાયેલા પ્રથમ હરોળના ગ્રામ્ય વિસ્તારમા ક્વોરાન્ટાઈન સેન્ટર, કોવીડ કેર સેન્ટર અને સેમ્પલ કલેક્શનની કામાગીરીમાં જોડાયેલા કોરોના વોરિયર્સને રક્ષાસુત્ર બાંધ્યું હતું.
આ આગવા રક્ષાબંધન પર્વમાં કલેક્ટર કચેરી, વડોદરા ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરજણ, ડભોઈ, પાદરા, શિનોર, સાવલી, ડેસર, વડોદરા ગ્રામ્ય અને વાઘોડીયા તાલુકાના કોવીડ-૧૯ સામેની લડાઈમાં યોગદાન આપનાર કોરોના વોરિયર્સ જોડાયા હતા. આ તમામ અધિકારી-કર્મચારીઓને સખીમંડળની બહેનોએ રક્ષાસુત્ર બાંધી તેમના જીવનરક્ષાની પ્રાર્થના કરી હતી.
જિલ્લા કલેકટરશ્રી ની સૂચના મુજબ તાલુકા કક્ષાએ પણ કોરોના વોરિયર રક્ષા બંધન પર્વ ઉજવીએ કોરોના સંકટમાં દિવસ રાત કામ કરતા કમૅયોગીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પર્વ હેઠળ ખાસ કરીને તાલુકા આરોગ્ય અમલદારો,તબીબી અઘિકારીઓ, આરબીએસકે-આયુષ તબીબ, ફાર્માસીસ્ટ, બહુહેતુક આરોગ્ય કર્મચારીઓ, નર્સ બહેનો, લેબ ટેકનીશ્યનો સહિત આરોગ્યના કર્મચારીઓ,પોલીસ,નગર પાલિકા, પંચાયત અને મહેસુલી તંત્રના કર્મયોગીઓને રક્ષાસુત્ર બાંધી એમને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
જિલ્લા કલેકટરશ્રી ની પ્રેરણાથી ગયા વર્ષે અતિવૃષ્ટિ અને પૂરમાં બચાવ અને રાહતની ઉમદા કામગીરી કરનારા કમૅયોગીઓને રક્ષાસુત્ર બાંધી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જાણાવ્યુ કે, કોરોના મહામારી વચ્ચે રક્ષાબંધન પર્વ વિશેષ મહત્વનુ બની રહે છે. આરોગ્ય, પોલીસ, મહેસૂલ સહિતના તમામ અધિકારી-કર્મચારીઓ અને તેમની ટીમોએ સતત પોતાના જીવ અને પરિવારની ચિંતા કર્યા વગર લોકો અને સમાજ રક્ષા માટે સમગ્ર જોમ જુસ્સા સાથે ફરજ નિભાવી, દેશ-સમાજની રક્ષા માટે ખૂબ મોટુ યોગદાન આપ્યુ છે. આપણે સહુ હકારાત્મક ઉર્જા સાથે કામગીરીમાં જોડાઈ કોરોના મહામારી સામેની લાંબી લડાઈમાંથી સફળતાપૂર્વક બહાર આવીશુ તેવો તેમને વિશ્વાસવ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા શ્રી સુધીર દેસાઈ, અધિકા નિવાસી કલેક્ટર શ્રી ડી.આર. પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટિલાવત, ડીવાયએસપી શ્રી કલ્પેશ સોલંકી અને જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારી-કર્મચારીઓને સંખીમંડળની બહેનોએ રક્ષાસુત્ર બાંધી તેમના જીવનરક્ષાની કામના કરી હતી.