Anuradha Paudwal award Tana RIRI

રાજ્ય સરકારનો તાના-રીરી એવોર્ડ-ર૦ર૦ સુશ્રી અનુરાધા પોંડવાલ વર્ષાબહેન ત્રિવેદીને એનાયત

Anuradha Paudwal award Tana RIRI
  • સંગીત સામ્રાજ્ઞી બેલડી તાના-રીરી ની સ્મૃતિમાં અપાતો રાજ્ય સરકારનો તાના-રીરી એવોર્ડ-ર૦ર૦ સુશ્રી અનુરાધા પોંડવાલ વર્ષાબહેન ત્રિવેદીને સંયુકતપણે એનાયત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
  • વડનગરમાં તાના-રીરી મહોત્સવ વિધિવત પ્રારંભ પૂર્વે મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં પ્રત્યક્ષ એવોર્ડ અર્પણ કર્યા
  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૦૦૩થી તાના-રીરી સંગીત મહોત્સવની વડનગરમાં શરૂઆત કરાવી છે
  • સંગીત-ગાયન-વાદ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન માટે ર૦૧૦થી તાના-રીરી એવોર્ડ દ્વારા સિધ્ધહસ્ત કલાકારોને સન્માનિત સન્માનિત કરવાની પરંપરાની ૧૦મી કડીમાં ર૦ર૦-ર૧ના તાના-રીરી એવોર્ડમાં પાંચ લાખનો પુરસ્કાર-તામ્રપાત્ર -શાલ અર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ

ગાંધીનગર, ૨૬ નવેમ્બર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સંગીત સામ્રાજ્ઞી બેલડી તાના-રીરીની સ્મૃતિમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા તાના-રીરી એવોર્ડમાં વર્ષ ર૦ર૦-ર૧નું એવોર્ડ સન્માન પાશ્વગાયિકા પદ્મશ્રી અનુરાધા પોંડવાલ અને મૂળ ભાવનગરના સુશ્રી વર્ષાબહેન ત્રિવેદીને સંયુકતપણે ગાંધીનગરમાં અર્પણ કર્યુ હતું. આ એવોર્ડ અન્વયે રાજ્ય સરકાર દ્વારા રૂ. પાંચ લાખનો પુરસ્કાર, તામ્રપાત્ર અને શોલથી એવોર્ડ વિજેતાનું બહુમાન કરવામાં આવે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના વતન વડનગરમાં દર વર્ષે દ્વિદિવસીય તાના-રીરી મહોત્સવ નું આયોજન પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી ર૦૦૩થી કરવામાં આવે છે.

આદ્યકવિ નરસિંહ મહેતાની બે દોહિત્રી તાના-રીરીના અમર સંગીત ઇતિહાસની સ્મૃતિ જનમાનસમાં સદાકાળ ઊજાગર રહે તેવા ઉદાત્ત ભાવ સાથે આ તાના-રીરી મહોત્સવ યોજાય છે.
વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇએ ર૦૧૦ના વર્ષથી સિધ્ધહસ્ત મહિલા ગાયક સંગીતજ્ઞ, વાદ્ય કલાકારોને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા શરૂ કરી છે. મુખ્યમંત્રી શ્રી વિજય ભાઇ રૂપાણીએ પરંપરામાં વર્ષ-ર૦ર૦-ર૧ના તાના-રીરી એવોર્ડ આજે ગાંધીનગરમાં અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુશ્રી અનુરાધા પોંડવાલ અને વર્ષાબહેન ત્રિવેદીએ સંગીત-ગાયન ક્ષેત્રે આપેલા અમૂલ્ય પ્રદાનની પ્રસંશા કરતાં તેઓ આ પ્રદાન અવિરત આપતાં રહે તેવી શુભેચ્છાઓ આપી હતી.

તાના-રીરી સંગીત મહોત્સવનું મહેસાણાના વડનગરમાં તાના-રીરી સમાધિ સથળ સમીપે આયોજન કરીને આ એવોર્ડ અર્પણ કરવામાં આવતો હોય છે. પરંતુ આ વર્ષ કોરોના સંક્રમણની વિશિષ્ટ સ્થિતીમાં મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષનો તાના-રીરી એવોર્ડ સુશ્રી અનુરાધા પોંડવાલ અને સુશ્રી વર્ષાબહેન ત્રિવેદીને ખાસ ગાંધીનગરમાં આમંત્રીને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, સંગીત નાટય અકાદમીના અધ્યક્ષ શ્રી પંકજભાઇ ભટ્ટ, અધિક મુખ્ય સચિવ શ્રી સી. વી. સોમ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પામેલા આ તાના-રીરી મહોત્સવમાં ૨૦૧૦થી તાના-રીરી એવોર્ડ અર્પણ કરવામાં આવે છે.
તદઅનુસાર, ૨૦૧૦માં સુપ્રસિદ્ધ ગાયિકા સ્વર કિન્નરી લતામંગેશકર-ઉષા મંગેશકર બહેનોને તેમજ ૨૦૧૧-૧૨માં પદ્મભુષણ ગિરીજાદેવી, ૨૦૧૨-૧૩માં કિશોરી આમોનકર, ૨૦૧૩-૧૪માં બેગમ પરવીન સુલ્તાના, ૨૦૧૪-૧૫માં સ્વર યોગીની ડૉ. પ્રભા અત્રે તેમજ ર૦૧૬-૧૭માં શ્રીમતી મંજુબહેન મહેતા અને શ્રીમતી ડૉ. લલીથ રાવને તથા ર૦૧૭-૧૮માં પદ્મશ્રી આશા ભોંસલે અને ર૦૧૮-૧૯માં વિદૂષી સુશ્રી રૂપાંદે શાહ અને ર૦૧૯-ર૦માં અશ્વિની ભીંડે તથા પિયુ સરખેલ જેવા સ્વનામ ધન્ય મહિલા કલાકારો રાજ્ય સરકાર દ્વારા આ એવોર્ડ સન્માનથી વિભૂષિત કરવામાં આવેલા છે.