Nitin Patel Red Cross Soc. 4 edited

વડોદરા, રાજકોટ અને સુરત ખાતે આવતીકાલથી રાત્રી કર્ફ્યુ અમલી

Gujarat Vice CM Nitin Patel

કોરોના મહામારી સામે
નાગરિકોએ ભયભીત થવાની કે અફવાઓમાં આવીને ગભરાવાની સ્હેજ પણ જરુર નથી રાજ્યનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ છે : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

સંક્રમણ ફેલાતુ અટકાવવા અગમચેતીના ભાગરૂપે વડોદરા, રાજકોટ અને સુરત ખાતે આવતીકાલથી રાત્રી કર્ફ્યુ અમલી

  • અમદાવાદની ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ, SVP હોસ્પિટલ, સોલા સિવીલ હોસ્પિટલ અને ગાંધીનગર સિવીલ સહિતની તમામ સરકારી હોસ્પિટલ ખાતે પૂરતી માત્રામાં પથારી ઉપલબ્ધ
  • રાજ્યના બોન્ડેડ ડોક્ટર્સને હાજર થવા સૂચના : હાજર નહી થાય તો કાયદેસરની કાર્યવાહી કરાશે
  • સરકારી હોસ્પિટલોમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે પથારીની સુવિધા ન હોવાની સોશિયલ મીડિયામાં વહેતી થયેલી ટીપ્પણી પાયાવિહોણી
  • લોકડાઉન અને અનલોકમાં પ્રજાકીય સહયોગ મળ્યો એવો જ સહયોગ આગામી સમયમાં પણ મળે એવી અપીલ

અહેવાલ: દિલીપ ગજજર, ગાંધીનગર

ગાંધીનગર, ૨૦ નવેમ્બર: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, કોરોનાની મહામારી સામે આજે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યુ છે ત્યારે કેટલીક સાવચેતી રાખવી અત્યંત આવશ્યક છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારે કેટલાક વિસ્તારોમાં રાત્રી કર્ફ્યુનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સામે નાગરિકોએ ભયભીત થવાની કે અફવાઓમાં આવીને ગભરાવવાની સહેજ પણ જરૂર નથી. રાજ્ય સરકારનું આરોગ્યતંત્ર કોરોનાગ્રસ્ત નાગરિકોને સુવિધાઓ સાથે સારવાર આપવા માટે સંપૂર્ણ સજ્જ છે.

whatsapp banner 1

આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય કોર ગ્રુપની બેઠક મળી હતી જેમાં તહેવારો દરમિયાન વધેલી અવરજવરને કારણે કોરોનાના કેસો વધવાની શક્યતાના અનુસંધાને ચર્ચા વિચારણા થઇ હતી. કોરોનાના કેસો નિયંત્રણમાં રાખી શકાય તે માટે અગમચેતીના ભાગરૂપે અમદાવાદ મહાનગર વિસ્તારમાં કર્ફ્યુ લગાવાયો છે. તે જ રીતે હવે રાજકોટ, વડોદરા અને સુરત મહાનગર વિસ્તારમાં પણ રાત્રી કર્ફ્યુ લગાવવાનો નિર્ણય આ બેઠકમાં લેવાયો છે. આ ત્રણેય મહાનગરોમાંથી વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, ફેડરેશન, વેપારી એસોસીએશનો તથા અગ્રણીઓ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે તહેવારો બાદ કોરોનાના કેસો-સંક્રમણ વધે નહિ તે માટે અહીં પણ અમદાવાદની જેમ રાત્રી કર્ફ્યુની વ્યવસ્થા થાય. જેને ધ્યાને લઇને રાજ્ય સરકારે આરોગ્યના હિતમાં બીજો નિર્ણય જાહેર ન કરાય ત્યાં સુધી રાત્રી કર્ફ્યુનો નિર્ણય લીધો છે. આ કર્ફ્યુ દરરોજ રાત્રે ૦૯/૦૦ થી સવારના ૦૬/૦૦ કલાક સુધી અમલી રહેશે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, સોશીયલ મીડિયામાં એવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યુ છે કે, કોરોના સંક્રમીત દર્દીઓ માટે સરકારી હોસ્પિટલોમાં પથારીની પૂરતી વ્યવસ્થા નથી અને પથારીઓ ખૂટી પડી છે. જે બિલકુલ પાયાવિહોણી બાબત છે. ખાલી પથારીની આંકડાકીય માહિતી આપતા શ્રી પટેલે વધુમાં ઉમેર્યુ કે અમદાવાદ સિવીલ હોસ્પિટલની સ્યેશીયલ કોવીડ કેર સેન્ટર તરીકે જાહેર કરાયેલી ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં ૬૦ જેટલી આઇ.સી.યુ. વ્યવસ્થા સાથેની પથારીઓ હાલ પણ ખાલી છે. તે ઉપરાંત અન્ય નોન ક્રીટીકલ દર્દીઓ માટેની પથારી પણ પૂરતી ઉપલબ્ધ છે. એટલુ જ નહિ, તાજેતરમાં આ હોસ્પિટલમાં વધુ ૧૨૦ પથારી વધારવાની સૂચનાઓ અપાઇ હતી, જેનું કામ પૂર્ણ થવાના આરે છે. એટલે અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં ૧૨૦૦ પથારી ઉપરાંત ૧૨૦ પથારી ઉમેરાતા હવે ૧૩૨૦ પથારી ઉપલબ્ધ બનશે તે ઉપરાંત સોલા સીવીલ હોસ્પિટલ, ગાંધીનગર સિવીલ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલની વધારાની વીંગમાં કોરોનાના દર્દીઓ માટે શરૂ કરાયેલ અલાયદી હોસ્પિટલ, કીડની હોસ્પિટલ ઉપરાંત એસ.વી.પી. હોસ્પિટલમાં પણ પૂરતા પ્રમાણમાં પથારીઓ ઉપલબ્ધ છે તે ઉપરાંત ખાનગી સુપર મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલમાં પણ સરકારે ઉભી કરેલી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. આગોતરી તૈયારીના ભાગરૂપે નડીયાદ અને કરમસદની મેડીકલ કોલેજ ખાતે પણ અમદાવાદના કોરોનાગ્રસ્ત દર્દીઓને દાખલ કરી શકાય તે માટેની સુવિધા ઉપલબ્ધ છે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારે જે રીતે પથારીની સુવિધાઓ વધારી છે ત્યારે તબીબો, નર્સીંગ સ્ટાફ, મેડીકલ-પેરા મેડીકલ સ્ટાફની પણ જરૂરીયાત પુરી પાડવા માટે પુરતી વ્યવસ્થા કરી છે. ખૂબ જ ઓછા ખર્ચે સરકારના સહયોગથી રાજ્યના મેડીકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ તબીબ થયા હોય તેમની પણ સવિશેષ જવાબદારી બને છે કે રાજ્યના નાગરિકોના હિતમાં તેમની સેવા માટે તે ઉભા રહે. આ માટે બોન્ડેડ તબીબો, સીનીયર તબીબો તેમજ રેસીડેન્ટ ડૉક્ટર્સને વિશેષ જવાબદારી સાથે હાજર થવા સૂચનાઓ આપી દેવાઇ છે. જો તેઓ હાજર નહીં થાય તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરતા પણ સરકાર ખચકાશે નહીં તેવું સ્પષ્ટ શબ્દોમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું.

નાયબ મુખ્યમંત્રીશ્રી પટેલે કોરોનાનું સંક્રમણ રોકવા માટે રાજ્યમાં જે ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનો નિર્ણય લેવાયો છે તેમાં અગાઉના લોકડાઉન-અનલોકનાં સમયમાં જે પ્રજાકીય સહયોગ મળ્યો તેવો જ સહયોગ આગામી સમયમાં પણ મળે તેવો જ સહકાર આપવા રાજ્યના સૌ નાગરિકોને અપીલ કરી હતી.