રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં, કોઈએ ગભરાવાની જરૂર નથી: જીલ્લા કલેકટર શ્રી
- રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં, કોઈએ ગભરાવાની જરૂર નથી: જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહનની ખાસ અપીલ
- પૂરતી સાવચેતી રાખવી તેમજ બિનજરૂરી બહાર ન નીકળવું
- ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક- તંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ
અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ
રાજકોટ,૨૦ નવેમ્બર: રાજકોટ જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને લોકોને ખાસ અપીલ કરતા જણાવ્યું છે કે, દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. લોકોએ કોઈપણ પ્રકારની અફવાથી દોરવાઈ પેનિક નહીં થવા ખાસ વિનંતી કરી છે. રાજકોટવાસીઓને હાલની પરિસ્થિતિમાં ખાસ સાવધાની રાખવા, બિનજરૂરી બહાર નહીં નીકળવા અને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ વારંવાર હાથ ધોઈ કોરોના સંક્ર્મણથી સચેત રહેવા ભારપૂર્વક જણાવ્યું હતું.
આજ રોજ કલેકટર શ્રી રેમ્યા મોહને રાજકોટ શહેર તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે આરોગ્ય સંબંધી સમીક્ષા બેઠક યોજી હતી. હાલ વિભાગીય તંત્ર કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ હોવાનું અને તંત્ર દ્વારા તમામ ટેસ્ટિંગ બુથ શરુ કરી દેવામાં આવ્યા હોવાનું કલેકટરશ્રીએ જણાવ્યું હતું. હાલ રાજકોટ શહેરમાં પૂરતો મેડિકલ સ્ટાફ, વેન્ટિલેટર, દવાઓ સહીત હોસ્પિટલ્સમાં ૨૦૦૦ થી વધુ બેડ ઉપલબ્ધ હોવાનું કલેકટરશ્રી રેમ્યા મોહને જણાવ્યું છે.
રાજકોટમાં તમામ વોર્ડમાં ટેસ્ટિંગ બુથ તમજ વધારાના બુથ શરુ કરવામાં આવ્યાનું કલેકટરશ્રીએ જણાવ્યું છે. લોકો બિલકુલ ગભરાયા વગર જરૂર જણાય તો કોરોના ટેસ્ટ કરાવે તેમ ખાસ ભારપૂર્વક તેમણે જણાવ્યું છે.
રાજકોટ શહેરની પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલમાં છે, તંત્ર સંપૂર્ણ સજ્જ છે અને લોકોએ બિલકુલ ગભરાવું નહીં પરંતુ કોરોના સંક્રમણથી બચવા પૂરતી તકેદારી રાખવા કલેકટરશ્રી તેમજ વહીવટી તંત્ર દ્વારા ખાસ સંદેશ પાઠવવામાં આવ્યો છે.