બનાસકાંઠા જીલ્લા માં કોરોના સંક્રમણ અટકાવવા પાલનપુર ખાતે કલેકટરની વિવિધ સમિતિઓ સાથે ની બેઠક યોજાઇ
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૨૧ નવેમ્બર: કોરોના સંક્રમણ અટકાવવા પાલનપુર ખાતે બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ હતી. કોવિડ-૧૯ની કોઇપણ સ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ રહેવા કલેકટરશ્રીએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચના ઓ આપી હતી. બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં વિવિધ સામાજિક, ધાર્મિક પ્રસંગોના આયોજનની શકયતાઓ જોતાં કોવીડ-૧૯ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરાવવું અનિવાર્ય છે.
જે ધ્યાને લઇ ગ્રામ્ય વિસ્તારોમાં આવા કોઇપણ જાહેર મેળાવડા, સામાજિક પ્રસંગો યોજાનાર હોય જયાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાની શક્યતા હોય તેવી જગ્યાએ ગ્રામ્ય કક્ષાએથી તલાટીશ્રીઓ, સરપંચશ્રીઓ વગેરે દ્વારા તથા નગરપાલિકા વિસ્તારોમાં વોર્ડ ઇસ્પેકટર વગેરે દ્વારા ફરજીયાતપણે તાલુકા કક્ષાએ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, પ્રાંત અધિકારીને જાણ કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવા તેમણે જણાવ્યું હતું. જિલ્લાના કોઇપણ વિસ્તારમાં કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થતો હોય તેવી કોઇપણ બાબતો ધ્યાનમાં આવે ત્યારે સબંધિત વિસ્તારના જવાબદાર પોલીસ અધિકારી, આરોગ્ય અધિકારીએ તાત્કાલીક અસરથી કોવીડ-૧૯ની એસ.ઓ.પી. મુજબની કાર્યવાહી કરી અસરકારક પગલાં લેવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું. આ બાબતે જરૂર જણાય તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ જરૂરી હુકમો કરવા અને આવા હુકમના ભંગના કિસ્સામાં રીપોર્ટીંગમાં બેદરકારીના કિસ્સામાં જવાબદારો વિરુધ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ જરૂરી પગલાં ભરવા સુધીની કાર્યવાહી કરવા કલેકટરશ્રીએ તમામ પ્રાંત અધિકારીઓને કડક સુચના આપી હતી.
સમીક્ષા બેઠકમાં કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે સઘન સર્વેલન્સ સાથે આયુર્વેદીક ઉકાળા વિતરણ, કલેકટર કચેરી ખાતે કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ-વોર રૂમથી જિલ્લાની કોવિડ હોસ્પીટલો, કન્ટેઇનમેન્ટ ઝોન, સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિત પબ્લીક મુવમેન્ટ પર સીસીટીવીના માધ્યમથી વોચ રાખવી. કોવિડ પોઝીટીવ દર્દીઓ અને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ દર્દીઓનું પણ નિયમિત ફોલોઅપ, પોઝીટીવ દર્દીઓનું રોજે રોજ મોનીટરીંગ અને તેમના સંપર્કમાં આવેલા લોકોનું કોન્ટેક્ટ ટ્રેસીંગ, હોમ આઇસોલેશનમાં રાખેલા દર્દીઓનું પણ નિયમિત મોનીટરીંગ સહિત માઇક્રો કન્ટેઇમેન્ટમાં સરકાર દ્વારા સુચવેલ માર્ગદર્શિકા અને જાહેરનામાઓનો ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું.