નોકરિયાતો માટે સારા સમાચાર.. સરકારે બનાવ્યા નવા કાયદા..
અમદાવાદ, ૨૨ નવેમ્બર: મોદી સરકાર દ્વારા કામના કલાકો ને લઈને મહત્વના સુધારા કર્યા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયએ સંસદમાં પસાર કરેલા એક બિલમાં કામના કલાક વધારવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. નવા પ્રસ્તાવ પ્રમાણે એક દિવસમાં વ્યક્તિ મહત્તમ 12 કલાક કામ કરી શકે તેવો પ્રસ્તાવ મૂક્યો છે. વર્તમાન સમયમાં પ્રતિદિન મહત્તમ 8 કલાક કામ કરવાની જોગવાઈ છે.
શ્રમ અને રોજગાર મંત્રાલયે વ્યવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય, તેમજ કાર્ય શરત એટલે કે OSH કોડ 2020 ના નિયમો હેઠળ આ પ્રસ્તાવ મૂક્યો છે. નવા કામના સમયગાળા વચ્ચે ટૂંકા ગાળાની રજા પણ શામેલ કરવામાં આવી છે. જો કે, 19 નવેમ્બર 2020ના રોજ જાહેર કરાયેલા આ ડ્રાફ્ટમાં, સાપ્તાહિક કામના કલાકો 48 કલાક યથાવત રાખવામાં આવ્યા છે. વર્તમાન જોગવાઈઓમાં અઠવાડીયે 8 કલાકના હિસાબે 6 દિવસનો હોય છે, જેમાં એક દિવસ રજા હોય છે. પરંતુ 12 કલાક કામની સ્થિતિમાં અઠવાડિયામાં 2 રજાઓ આપવાની જોગવાઈ રહેશે.
વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ જોગવાઈ ભારતની પ્રતિકૂળ આબોહવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કેન્દ્રીય શ્રમ તેમજ રોજગાર મંત્રાલયે સામાજિક સુરક્ષા સંહિતા 2020ના ડ્રાફ્ટ એક્ટને સૂચિત કરી વાંધા અને સૂચનો માંગવામાં આવ્યા છે.